By Chhelli Jagir
April 6, 2026
હવામાન વિભાગે ગુજરાતના 18 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની ભીતિને જોતા માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે ફરી એકવાર હવામાન પલટાવાની શક્યતા સર્જાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે સિસ્ટમ સક્રિય થતા આવતીકાલે 7 એપ્રિલે રાજ્યમાં માવઠું પડી શકે છે.
હવામાન વિભાગે ગુજરાતના 18 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની ભીતિને જોતા માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આ સિવાય કચ્છ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકા જિલ્લામાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને નર્મદામાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
આ પ્રતિકૂળ હવામાન દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થવાની શક્યતા છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ છતાં અસહ્ય બફારો અને ગરમી યથાવત રહેતા લોકો પરેશાન છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં ગરમીનો પારો 36.3 ડિગ્રીએ પહોંચ્યો છે. ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને બપોરના સમયે ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા બે સપ્તાહમાં કમોસમી વરસાદ અને વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે. સુરત અને પાટણ સહિતના વિસ્તારોમાં વીજળી અને વાવાઝોડાએ જીવલેણ આફત નોતરી છે.
પાટણ અને ગાંધીનગર પંથકમાં વીજળી પડવાની ઘટનાઓમાં માસૂમ બાળકી સહિત બે યુવતીઓના કરુણ મોત નિપજ્યા છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થળે રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.